પેરેલિસિસ (નવલકથા)

ચંદ્રકાંત બક્ષીની નવલકથા

પેરેલિસિસ (ગુજરાતી અર્થ: પક્ષાઘાત) ચંદ્રકાંત બક્ષીની ગુજરાતી ભાષાની નવલકથા છે.

પેરેલિસિસ
લેખકચંદ્રકાંત બક્ષી
અનુવાદકચંદ્રકાંત બક્ષી
દેશભારત
ભાષાગુજરાતી
પ્રકાશક
  • ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય
પ્રકાશન તારીખ
૧૯૬૭[૧]
અંગ્રેજીમાં પ્રકાશન તારીખ
૧૯૮૧
પાનાં૧૬૮[૨]
OCLC743467531
દશાંશ વર્ગીકરણ
891.473

પ્રકાશન

આ નવલકથાની પ્રથમ આવૃત્તિ ૧૯૬૭માં પ્રગટ થઇ હતી.[૧][૩] બક્ષીએ જાતે જ આ નવલકથાનું અંગ્રેજીમાં ભાષાંતર કર્યું હતું અને તેનું પ્રકાશન ૧૯૮૧માં થયું હતું.[૪]

વિષય

વિવેચક સુમન શાહ નોંધે છે કે નવલકથાનું કેન્દ્રબિંદુ પ્રોફેસર અરામ શાહની 'જીવનગત વેદના' છે.[૫]

કથા

નવલકથાનું મુખ્ય પાત્ર પાકટ વયના વિધુર પ્રોફેસર અરામ શાહ છે, જેમને પક્ષાઘાત (પેરેલિસિસ)નો હુમલો થતા તેઓ સતત સહચાર અને સહાનુભૂતિના વાતાવરણમાં વિશિષ્ટ વ્યક્તિત્વ ધરાવતી નર્સ આશિકા દીપની સંભાળ હેઠળ આવે છે. ભૂતકાળના બનાવોની સ્મૃતિઓ અને વર્તમાનના તંતુઓ એકબીજા સાથે આ નવલકથામાં સ્વાભાવિક રીતે જોડાતા રહે છે.[૧] અરામ શાહની પત્ની બીજા બાળકના જન્મ સમયે મૃત્યુ પામી છે અને તેમણે તેમની પુત્રી મારિશાને એકલા ઉછેરી છે. નવલકથાના પ્રારંભે તે પર્વતીય સ્થળની મુલાકાતે છે અને તેમને આવેલા ત્રણ સ્વપ્નોનો વિચાર કરતા જાગે છે: ઘરડો સિંહ; જંતુનાશક દવાનો છંટકાવ કરેલો એક મહેલ; અને બરણીમાં બાળગર્ભ રાખેલું એક સંગ્રહાલય. તેમની લાગણીની તીવ્રતાઓ તેમને પક્ષાઘાતનો હુમલો આપે છે અને તેઓ લકવો પામેલા સ્વરૂપે નાની હોસ્પિટલમાં જાગે છે જ્યાં તેમની સારસંભાળ આશિકા લે છે. ત્યાં તેઓ તેમની પુત્રીના મૃત્યુને યાદ કરે છે, જે જ્યોર્જ વર્ગીસ નામના એક ખ્રિસ્તીને પરણી હતી અને પછી પુત્રીએ આત્મહત્યા કરી હતી. આ દુ:ખ તેમને પર્વતીય સ્થળ તરફ દોરે છે, જ્યાં નવલકથાની શરૂઆત થાય છે. આશિકા પણ તેના ભૂતકાળની યાદો હેઠળ દબાયેલી છે અને વિધવા છે. તે પણ અરામની સમકક્ષ વયની છે અને બંને એકબીજાના દુ:ખમાં નવુ જીવન શોધવાનું પ્રયત્ન કરે છે. અરામને ટૂંક સમયમાં જ રજા મળે છે, અને તે આશિકાને મળી શકતો નથી. તે ઘરે પાછો ફરવાની જગ્યાએ જ્યાં તેને પક્ષાઘાતનો હુમલો આવ્યો હતો તે સ્થળે પાછો આવે છે અને ત્યાં ફરે છે.[૬]

પાત્રો

નવલકથાના મુખ્ય પાત્રો આ પ્રમાણે છે:[૬]

  • અરામ શાહ – વિધૂર પ્રોફેસર
  • મારિશા – અરામની પુત્રી
  • આશિકા દીપ – મિશનરી હોસ્પિટલમાંની નર્સ

પુરસ્કાર, પ્રસિદ્ધિ અને વિવેચન

૧૯૬૮માં આ નવલકથા માટે તેમને ગુજરાત સરકાર તરફથી ત્રીજા ઇનામનો અડધો ભાગ એનાયત થયો હતો, જેનો તેમને અસ્વીકાર કર્યો હતો.[૭]

પેરેલિસિસનું ભાષાંતર મરાઠી, રશિયન અને અંગ્રેજી ભાષાઓમાં થયું હતું. તે બોમ્બે યુનિવર્સિટી અને ગુજરાત યુનિવર્સિટીના અભ્યાસક્રમમાં સમાવાઇ હતી. તેની મરાઠી આવૃત્તિ એસ.એન.ડી.ટી.ના બી.એ.ના અભ્યાસક્રમમાં પુસ્તક તરીકે હતી. બોમ્બે ટી.વી.એ આ નવલકથા પરથી નાટ્ય રૂપાંતરણ કર્યું હતું.[૩]

પેરેલિસિસ એકલતા, હાર, અનાસક્તિ અને થાક જેવા વિષયોનો સમાવેશ કરે છે. ગુજરાતી વિવેચક ચંદ્રકાન્ત ટોપીવાળાએ નવલકથાને તેની "કથનપદ્ધતિ" માટે વખાણી છે.[૬]

સંદર્ભ