પંડિત ઓમકારનાથ ઠાકુર

ગુજરાતી શાસ્ત્રીય સંગીતકાર

પંડિત ઓમકારનાથ ઠાકુર (૨૪ જૂન ૧૮૯૭ – ૨૯ ડિસેમ્બર ૧૯૬૭)[૧][૨] એ સંગીત શિક્ષક, સંગીત વિશારદ અને ભારતીય શાસ્ત્રીય સંગીતના ગાયક હતા. તેમણે સંગીતની શિક્ષા ગ્વાલિયર ઘરાનાના વિષ્ણુ દિગંબર પુલસ્કર પાસેથી મેળવી હતી. તેઓ ગાંધર્વ મહાવિદ્યાલયના આચાર્ય અને બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલયના સંગીત વિભાગના પ્રથમ કુલપતિ હતા.

પંડિત ઓમકારનાથ ઠાકુર
ભારતીય ટપાલ ટિકિટ પર ઓમકારનાથ શાસ્ત્રી (૧૯૯૭)
જન્મની વિગત૨૪ જૂન ૧૮૯૭
જહાજ, આણંદ જિલ્લો
મૃત્યુની વિગત૨૯ ડિસેમ્બર ૧૯૬૭
પુરસ્કારોરણજિતરામ સુવર્ણચંદ્રક, પદ્મશ્રી

પ્રારંભિક જીવન

પંડિત ઓમકારનાથ ઠાકુરનો જન્મ આણંદ જિલ્લાના જહાજ ગામમાં ૨૪ જૂન ૧૮૯૭ ના રોજ થયો હતો.[૩] તેમના પિતાનું નામ ગૌરીશંકર ઠાકુર હતું. અને માતાનું નામ ઝવેરબા હતું. પિતા વડોદરા રાજ્યમાં નોકરી કરતા હતા.[૧][૨] તેમના દાદા મહાશંકર ઠાકુરે ૧૮૫૭ના વિપ્લવમાં નાનાસાહેબ પેશ્વાના પક્ષે ભાગ લીધો હતો. સંગીત પ્રત્યેની તેમની લગન બાળપણથી જ આંખે વળગે તેવી હતી. ક્યાંયપણ સંગીતનો કાર્યક્રમ હોય તો તે અચૂક પહોંચી જતા. શાળામાં જ્યારે તેઓ કાવ્યગાન કરતાં ત્યારે શિક્ષકો સહિત સૌ મંત્રમુગ્ધ બની જતાં. તેમનો સંગીત પ્રત્યેનો લગાવ અને શ્રદ્ધા જોઇને ભરુચના એક પારસી સજ્જન શાહપુરજી મંચેરજી એ ૧૯૦૯માં તેમને સંગીતનો વિધિવત અભ્યાસ કરવા ગાંધર્વ મહાવિદ્યાલય, મુંબઇ મોકલ્યાં.[૧][૨] જ્યાં તેમણે પંડિત વિષ્ણુ દિગંબર પાસેથી સંગીતની પાસેથી શિક્ષા મેળવી ગ્વાલિયર ઘરાનાના ગાયક બન્યાં. સાથોસાથ તેઓએ પોતાની અલગ જ ગાયકી વિકસાવી. ૧૯૧૮માં તેમણે પોતાનો સૌ પ્રથમ સંગીત કાર્યક્રમ આયોજીત કર્યો. જોકે, તેમના ગુરુ પુલસ્કરના અવસાન (૧૯૩૧) સુધી તેઓ તેમના શિષ્ય રહ્યાં.[૪]

કારકિર્દી

૧૯૧૬ માં લાહોરની ગાંધર્વ મહાવિદ્યાલયના આચાર્ય તરીકે સેવાઓ આપી. જ્યાં તેઓ પટિયાલા ઘરાનાના પરિચયમાં આવ્યાં. અહીં તેમની મુલાકાત ગાયક અલી બક્ષ અને બડે ગુલામ અલી ના પૈતૃક કાકા કાલે ખાન સાથે થઈ. ૧૯૧૯માં તેઓ ભરૂચ પરત ફર્યા. અહીં તેમણે પોતાની સંગીતશાળા ‘ગાંધર્વ નિકેતન’ ની સ્થાપના કરી. ૧૯૨૦ ના સમયગાળામાં તેમણે મહાત્મા ગાંધીના અસહકાર આંદોલનને સ્થાનિક સ્તરે ટેકો આપ્યો અને ભરુચ જિલ્લા રાષ્ટ્રીય કૉગ્રેસના પ્રમુખ પણ બન્યાં. કૉગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનોમાં તેમના કંઠે વંદે માતરમ્ નું ગાન એ સભાનું નજરાણું ગણાતું. [૫] ૧૯૩૩ માં તેમણે યુરોપનો પ્રવાસ ખેડ્યો અને ફ્લોરેન્સ ખાતે યોજાયેલી આંતરરાષ્ટ્રીય સંગીત પરિષદમાં ભાગ લીધેલો. આમ, યુરોપમાં કાર્યક્રમ આપનાર પ્રથમ ભારતીય સંગીતવિદ્‌ બન્યાં. અંગત રીતે આ કાર્યક્રમ તેમણે બેનિટો મુસોલિની માટે કર્યો હતો.[૬] આ જ વર્ષે તેમના ધર્મપત્ની ઈન્દિરાદેવીનું અવસાન થતાં તેમણે શેષ જીવન સંગીતને સમર્પિત કરી દીધું. નેપાળના સંગીત પ્રેમી રાજાના દરબારમાં પણ સંગીતના કાર્યક્રમો આપ્યાં. દેશ વિદેશમાં સંગીતના કાર્યક્રમોની સાથે સાથે ભારતીય સંસ્કૃતિ વિષયક પ્રવચનો પણ કર્યાં. કાલિદાસકૃત મેઘદૂત અને શાકુંતલ ના અનુવાદ પણ કર્યા. ‘સંગીતાજલિ’ નામનું સંગીત શાસ્ત્ર ઉપર છ ભાગમાં એક સંશોધાનત્મક પુસ્તક પણ લખ્યું. આ ઉપરાંત ‘પ્રણવભારતી’ તેમનો વિદ્વતાપૂર્ણ ગ્રંથ છે. ૧૯૩૮માં કરાચીના ગુજરાતી સાહિત્ય પરિષદના સંગીત વિભાગના અધ્યક્ષ બન્યાં. ૧૯૫૦ માં કાશી વિશ્વ વિદ્યાલયના ડીન તરીકે જોડાયાં.[૭] ૧૯૫૩ માં બુડાપેસ્ટ ખાતે યોજાયેલ ‘વિશ્વશાંતિ પરિષદ’ માં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું. જ્યાં તેમણે પ્રસ્તુત કરેલું ‘વંદેમાતરમ’ શ્રોતાઓની અપાર ચાહના પામ્યું. [૧][૨]

સન્માન

  • ૧૯૫૫ માં ભારત સરકાર તરફથી પદ્મશ્રી
  • નેપાળના મહારાજા તરફથી સંગીત મહોદય
  • કાશી વિશ્વ મહાવિદ્યાલય તરફથી સંગીત સમ્રાટની પદવી
  • ૧૯૪૩ માં ગુજરાત સાહિત્ય સભા તરફથી રણજિતરામ સુવર્ણચંદ્રક
  • ૧૯૬૩ માં વારાણસી હિંદુ વિશ્વ વિદ્યાલય તરફથી ડૉક્ટર ઓફ લેટર્સ ની પદવી.[૧][૨]
  • ૧૯૯૭મા ભારતીય ટપાલ વિભાગ દ્વારા તેમની સ્મારક ટિકિટ બહાર પાડવામા આવી.

સંદર્ભ