ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય

ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય ભોપાલ, મધ્ય પ્રદેશ, ભારત ખાતે આવેલું એક સંગ્રહાલય છે જેને માનવ જાતિનું રાષ્ટ્રીય સંગ્રહાલય અથવા મનુષ્ય અને સંસ્કૃતિનું સંગ્રહાલય તરીકે પણ ઓળખવામાં આવે છે. આ સંગ્રહાલય શહેરની શ્યમાલ ટેકરીઓ પર લગભગ ૨૦૦ એકરના વિસ્તારમાં ફેલાયેલું છે. આ સંગ્રહાલયમાં સમય અને સ્થાનના પરિપેક્ષમાં માનવજાતની કથા દર્શાવવામાં આવી છે. તે ભારતનું સૌથી મોટું નૃવંશશાસ્ત્રીય સંગ્રહાલય છે.[૧]

ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય
ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય
નકશો
જૂનું નામમાનવ જાતિનું રાષ્ટ્રીય સંગ્રહાલય
સ્થાપના૨૧ માર્ચ ૧૯૭૭
સ્થાનશ્યામલ હિલ્સ, ભોપાલ, મધ્ય પ્રદેશ ૪૬૨૦૧૩
અક્ષાંશ-રેખાંશ23°13′56″N 77°22′39″E / 23.232279°N 77.37761°E / 23.232279; 77.37761
પ્રકારનૃવંશશાસ્ત્ર સંગ્રહાલય
નિયામકડૉ. ભુવન વિક્રમ
વેબસાઇટwww.igrms.gov.in
રબારીઓના નિવાસસ્થાન

ભોપાલના ઉપલા તળાવ પર સ્થિત, રાષ્ટ્રીય માનવ સંગ્રહાલયમાં લેક વ્યૂ રોડ પરથી અથવા પ્રદર્શન શાળા નજીકના બીજા રસ્તા પરથી પ્રવેશ કરી શકાય છે. તે કેટલાક કાયમી પ્રદર્શનો ધરાવે છે, જેને વ્યાપકપણે ખુલ્લા પ્રદર્શનો, ઇન્ડોર ગેલેરીઓ (વીથી-સંકુલ અને ભોપાલ ગેલેરી) અને સમયાંતરે/કામચલાઉ પ્રદર્શનો તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યા છે. તેમાં ઓનલાઇન પ્રદર્શનો, પ્રવાસ પ્રદર્શનો, વિશેષ પ્રદર્શનો અને ચાલુ પ્રદર્શનો હેઠળ વર્ગીકૃત કરવામાં આવેલી અન્ય પ્રસ્તુતિઓ (પ્રેઝન્ટેશન્સ) પણ છે.

આ સંગ્રહાલયમાં ટ્રાઇબલ હેબિટેટ, કોસ્ટલ વિલેજ, ડેઝર્ટ વિલેજ, હિમાલયન વિલેજ, રોક આર્ટ હેરિટેજ, માઇથોલોજીકલ ટ્રેઇલ, રિવર વેલી કલ્ચર, ઐય્યનાર શ્રાઇન કોમ્પ્લેક્સ અને ટ્રેડિશનલ ટેકનોલોજી પાર્ક જેવા ઓપન-એર એક્ઝિબિશનનું નિર્માણ થયેલું છે.

આ સંગ્રહાલયમાં દક્ષિણ ભારત ક્ષેત્રનું પ્રાદેશિક કેન્દ્ર પણ છે, જે કર્ણાટકના મૈસૂરમાં સ્થિત છે.[૨][૩][૪]

સંગ્રહાલયની અંદર મણિપુર સાંસ્કૃતિક નૃત્યપ્રતિમા

ઇતિહાસ

૧૯૭૦માં, કલકત્તામાં યોજાયેલા ભારતીય વિજ્ઞાન કોંગ્રેસના અધિવેશનના ભાગરૂપે, માનવશાસ્ત્ર અને પુરાતત્ત્વ વિભાગના પ્રમુખ સચિન રોયે તેમના અધ્યક્ષપદેથી કરેલા સંબોધનમાં દેશમાં 'માનવ જાતિના સંગ્રહાલય'ની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.[૧] તે સમયે મધ્ય પ્રદેશ રાજ્ય સરકારે ૨૦૦ એકર જમીનની ફાળવણી કરી હતી અને તેના પરિણામે રાજ્યમાં આ સંગ્રહાલયની ઔપચારિક સ્થાપના કરવામાં આવી હતી અને ત્યારબાદ ૨૧ એપ્રિલ, ૧૯૭૯ના રોજ કેન્દ્રીય મંત્રી ડો.પ્રતાપચંદ્ર ચંદેરના હસ્તે તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. શરૂમાં આ સંગ્રહાલય બહાવલપુર હાઉસ, નવી દિલ્હી ખાતે આવેલું હતું.

સંગ્રહાલયમાં ભૌતિક સંસ્કૃતિ અને અમૂર્ત વારસાની પ્રસ્તુતિઓ પ્રદર્શિત કરવાની સાથે સાથે પ્રાકૃતિક લાક્ષણિકતાઓ, પરિદ્રશ્યો (લેન્ડસ્કેપ્સ) અને પારિસ્થિતિકીય પ્રણાલીઓ (ઇકોસિસ્ટમ્સ)ના વિવિધ સ્વરૂપોને પણ સંરક્ષિત રાખી પ્રસ્તુત કર્યા છે, જે તેમના સાંસ્કૃતિક, વૈજ્ઞાનિક, સૌંદર્યલક્ષી અથવા પારિસ્થિતિકીય મહત્વના સંદર્ભમાં નોંધપાત્ર મૂલ્ય ધરાવે છે.

સંગ્રહાલયના પૂર્વ નિદેશક (૧૯૯૪-૨૦૦૦) અને ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય કલા કેન્દ્રના સભ્ય સચિવ (૨૦૦૪-૨૦૦૯) કલ્યાણકુમાર ચક્રવર્તીના જણાવ્યા અનુસાર, "ભોપાલનું સંગ્રહાલય માત્ર ભૂતકાળને જ તેના સંરક્ષણ તરીકે ગણતું નથી, પરંતુ આ ઉપરાંત ભારતીય આદિવાસી અથવા પ્રાગૈતિહાસિક મનુષ્ય તેની એકમાત્ર ચિંતા છે, અથવા સ્વદેશી પરંપરાગત જ્ઞાન પ્રણાલીઓ તેની તપાસના એકમાત્ર ક્ષેત્ર તરીકે છે કારણ કે તેણે વૈજ્ઞાનિક સંશોધન અને તપાસના મુદ્દાઓ સાથે સામુદાયિક સુખાકારી પર અસર સાથે, વંશીય-વિજ્ઞાનના વિવિધ ક્ષેત્રો સાથે, સમકાલીન અને પરંપરાગત સ્થાપત્ય વચ્ચેના આંતરફલક સાથે, શહેરી અને દેશની યોજનાઓ સાથે, નાના જંગલના ઈમારતી લાકડાના ઉત્પાદનમાં સૂક્ષ્મજંતુ-પ્લાઝમની જાળવણી, પાણી અને ભૌતિક સંસાધનની વહેંચણીના વ્યવહારુ પ્રતિમાન અને હિમાલયની પ્રણાલીમાં સાંસ્કૃતિક પ્રતિમાન પર તેની અસરો, તેમજ પારિસ્થિતિકીય અધોગતિને પહોંચી વળવા માટેના પગલાં સાથે પોતાને ગંભીરતાથી સંબંધિત કર્યા છે.

સંદર્ભ